તમારા ઘરમાં ઉગાડજો તુલસી …
Author :
dhavalrajgeera
Blog :તુલસીદલ
Date: 8/18/2012 5:12:21 PM
તુલસીદલ થી તોલ કરો તો પવન બને પરપોટો,અને હિમાલય મુકો હેમ નો તો મેરુ થી મોટો,આ ભારે હળવા હરિહર ને મુલવવો શી રીતે, વજન કરે તે હારે મનવા ભજન કરે તે જીતે .
દાદીમાના ઘરગથ્થુ વૈદામાં તુલસીનું નામ સૌથી મોખરે હોય છે. જોકે હવે મોર્ડન મેડીસીનના સાયન્ટિસ્ટોએ પણ તુલસી પર પ્રયોગો કરીને એની ઔષધ તરીકેની વિશેષ લાક્ષણિકતાઓ શોધી છે. ભારતના રિસર્ચરોએ તુલસીને નુકશાનકારક રેડિયેશનથી થી આડઅસર માટેની દવા તરીકે ડેવલપ કરી છે. આ સાયન્ટિસ્ટોનું માનવું છે કે રેડીયેશનને કારણે બોડીમાં જે પણ ખાનાખરાબી થાય છે એની અસરને મટાડવા માટે તુલસી જેવી બેસ્ટ મેડિસિન બીજી કોઈ નહીં હોય. તુલસીના અર્કમાંથી તૈયાર કરેલી આ એન્ટિ રેડિયેશન દવાનો પ્રાણીઓ પર પ્રયોગ થઇ ચૂક્યો છે ને એનાં સફળ પરિણામોને કારણે ટૂંક સમયમાં જ આ દવાનો માણસો પર પ્રયોગ શરૂ થશે અને જો એમાં પણ સારાં રિઝલ્ટ્સ મળ્યાં તો એકાદ વરસમાં આ દવા માર્કેટમાં મળવા લાગે એવી શક્યતાઓ છે. તુલસીની આ નવી ક્ષમતાથી કેન્સરના દરદીઓને જ્યારે પણ રેડિયેશન્સ લેવાં પડશે ત્યારે એની આડઅસરથી બચાવવા માટે આ દવા વરદાનરૂપ થઈ પડશે. રેડિયેશન્સ લીધાં પછી કેન્સરના દરદીઓની રોગપ્રતિકારક શક્તિ પણ ઘટી જતી હતી, પરંતુ તુલસીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે.
તુલસીનો મોર્ડન ગુણ :
તુલસીના પાનમાં લીમોનીન, ટેર્પિનેઓલ એન્ટિ –ઈન્ફલમેટરી અને એન્ટિબેક્ટેરિયલ ગુણવત્તા ભરી પડી છે. એમાં આંખો માટે ગુણકારી બીટા-કેરોટીન, વિટામિન એ, લ્યુટેન તેમજ પીળા રંગનું ઝિકસેન્થિન નામનું કેમિકલ રહેલું છે. આ કેમિકલ્સ આંખોને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતાં ડેમેજ્થી બચાવે છે અને ઉંમરને કારણે આવતી દ્રષ્ટિની ઝાંખપ પણ રોકે છે. એમાં હાડકાંને સ્ટ્રોંગ બનાવતાં વિટામીન કે ઉપરાંત પોટેશિયમ, મેન્ગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવાં ખનીજ દ્રવ્યો પણ રહેલાં છે. પોટેશિયમ બોડીમાં રહેલાં ફ્લુઇડ માટે ખુબ જરૂરી છે. એ હાર્ટરેટ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તુલસીમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે.
સ્પેશિયલ હીલિંગ પાવર :
તુલસીનાં પાન ચેતાતંતુઓ માટે ટોનિક સમાન છે અને મેમરી શાર્પ કરી શકે એવાં હોય છે. ફેફસાંની નળીઓમાં ચોંટી રહેલો કફ પણ એનાથી ઊખડે છે. એ પાચનશક્તિ વધારે છે અને પસીનો પેદા કરીને શરીરનો ઝેરી કચરો બહાર ફેંકવાનું સરળ બનાવે છે. મેલેરીયા, કોલેરા, કમળો, ડાયેરિયા, તાવ જેવા રોગોમાં તુલસીનો ઉકાળો અસરકારક છે. તુલસીનાં પાનનો અર્ક ફ્રેશ વોટર સાથે દર બે-ત્રણ કલાકે લેવાથી હાઈગ્રેડ ફીવરમાં પણ ફાયદો થાય છે. આયુર્વેદિક કફ સિરપની તમામ બનાવટોમાં પણ તુલસી એક મુખ્ય ઔષધ હોય છે. તુલસીથી બ્રોન્કિયલ અસ્થમામાં રાહત થાય છે. શરદી-ધીમે રસ ઉતારવો. ગળામાં ખિચખિચ હોય તો તુલસીનાં પાન નાખીને ઉકાળેલું પાણી ઘૂંટડે –ઘૂંટડે પિતા રેહવું.
મોર્ડન ઉપયોગો …
તુલસીનાં પાનનો આદું અને મધ નાખીને બનાવેલો કાઢો બ્રોન્કાઇટીસ, અસ્થમા, ઇન્ફ્લ્યુએન્ઝા જેવી તકલીફોમાં ફાયદાકારક છે. તુલસીનાં પાન, નમક અને લવિંગનો કાઢો પણ શ્વસનતંત્રને લગતી સમસ્યાઓ માટે સારો છે.
મૂત્રપિંડમાં પથરી થઈ હોય ત્યારે દિવસમાં બે વાર તુલસીનો રસ અને મધ મેળવીને સતત છ મહિના સુધી પીવાથી પથરી પીગળીને યુરીન વાટે નીકળી જાય છે. હાર્ટમાં બ્લોકેજ, નબળાઈ કે કોલેસ્ટરોલજમા થવાની બિમારીમાં પણ રોજ તુલસીનાં પાન લેવાથી ફાયદો થાય છે. બાળકોને અવારનવાર થતી કોમન બીમારીઓ જેવી કે શરદી, ખાંસી, તાવ, ડાયેરિયા, ઊલટી જેવી તકલીફોમાં તુલસીનાં પાનનો રસ અકસીર દવાનું કામ કરે છે. તુલસીને એન્ટિ-સ્ટ્રેસ પ્રોપર્ટી પણ છે. તાજેતરમાં થયેલા રિસર્ચ અનુસાર રોજ તુલસીનાં બાર પાન દિવસમાં બે વાર ચાવવાથી સ્ટ્રેસ ઘટે છે, રક્ત શુદ્ધ થાય છે અને સ્ટ્રેસને કારણે થતી બીમારીઓ પ્રિવેન્ટ થાય છે. મોંમાં ચાંદા પડ્યાં હોય, દાંતમાં સડો થતો હોય, પેઢાં નબળાં પડી ગયાં હોય, લોહી નીકળતું હોય, મોંમાંથી વાસ આવતી હોય ત્યારે તુલસીનું તેલ કે તુલસીનો રસ અને રાઈનું તેલ મિક્સ કરીને દાંત અને પેઢાં પર ઘસવું. કાચાં તુલસીના પાન ચાવવાથી અને બે વાર દાંત સાફ કરવાથી પણ આ સમસ્યા ઘટે છે. વીંછી, મધમાખી, ભમરી, જળો જેવાં જીવજંતુ કરડ્યાં હોય ત્યારે તુલસીનો રસ પીવો અને એ કરડેલી જગ્યા પર લગાવવાથી ઝેર ઊતરે છે. પડવા-વાગવા કે ઊંડો ઘા થયો હોય ત્યારે જખમ સાફ કરવા માટે ડેટોલ ન હોય તો તુલસીનાં તાજા રસથી ઘા સાફ કરવાથી ઝડપથી રૂઝ આવે છે.
તુલસી ના ગુણ અંગેની ….પૂરક માહિતી ..
ફોલ્લા, ઘા અને ચામડીના રોગ … અને તુલસી …
૧) તુલસીના પાનને લીંબુના રસમાં વાટીને દાદર પર લગાવવાથી આરામ થાય છે,
૨) તુલસીપત્રનો રસ બે ભાગ અને તલનું તેલ એક ભાગ ભેગું કરી ઓછા તાપે ગરમ કરી બરાબર ગરમ થઇ ગયા પછી ગાળી નાખો અને પછી તેનો ઉપયોગ ચામડીના રોગો અને ખુજલી પર કરવાથી લાભ થાય છે.
૩) અગ્નિથી દાઝી જતા તુલસીનો રસ અને નાળીયેરનું તેલ (કોપરેલ) બરાબર હલાવીને લગાવવાથી બળતરા મટે છે, જો ફોલ્લા પડી ગયા હોય કે ઘા પડી ગયા હોય તો તે પણ જલ્દીથી સારા થઇ જાય છે.
૪) તુલસીના પાનને ગંગાજળમાં વાટીને નિરંતર લગાવતા રહેવાથી સફેદ ચાઠા અને કોઢ થોડા વખતમાં ઠીક થઈ જાય છે.
૫) બાલ તોડ (એકજાતનો ફોલ્લો) વાળના તૂટી જવાથી થાય છે તેનાપર તુલસીપત્ર અને પીપળાની કોમળ કુંપળો વાટીને લગાવવાથી આરામ થાય છે.
૬) નાકની અંદર ફોલ્લીઓ થઇ હોય તો તુલસીપત્ર અને બોરને વાટીને સુંઘવાથી અને લગાવવાથી લાભ થાય છે.
૭) પેટમાં અંદર ફોલ્લા થયા હોય કે ગોળો ચડતો હોય તો તુલસીપત્ર અને સુવાની ભાજીનો ઉકાળો બનાવીને તેમાં થોડું સિંધવ મીઠું નાખી ને પીવું જોઈએ.
૮) તુલસીપત્ર અને ફટકડીને ખુબજ બારીક વાટીને ઘા પર ભભરાવાથી તે જલ્દી સારું થઇ જાય છે.
૯) વાળ ખરવા કે અકાળે સફેદ થઇ જવા તે પણ એક ચર્મવિકાર જ છે, તેના મટે તુલસીપત્ર અને સુકા આંબળાનું ચૂર્ણ માથામાં સારી રીતે ઘસીને સાધારણ ગરમ પાણીથી ધોવું જોઈએ.
૧૦) બગલમાં થતા ફોલ્લા પર તુલસીપત્ર રાઈ, ગોળ, અને ગુગળ સરખા ભાગે લઇ પાણીમાં વાટી ગરમ કરી બાંધવાથી તે ફૂટીને મટી જાય છે.
૧૧) તુલસીના પાન અને તેના મુળિયામાં કીટાણું નાશક ગુણો વિશેસ રૂપે હોય છે, તેથી બધા જ જાતના ચામડીના રોગોમાં તેનો ઉપયોગ લાભકારક સિદ્ધ થાય છે, તુલસીના ૨૦-૨૫ તોલા પાનને વાટીને તેમાં પાણી મેળવીને તેનો રસ કાઢી રાખવો પછી અડધો શેર રસ અને અડધો શેર તલનું તેલ લઇને ઉકાળવું પાણી બળી જાય ત્યારે તેલને ગાળીને બાટલીમાં ભરી દેવું, આ તેલની માલીસથી ચામડીના અનેક પ્રકારના રોગ ખુજલી, શુષ્કતા વગેરે મટે છે.
વિવિધ રોગો … અને તુલસી …
૧) કોઈપણ જાતનું ઝેર અફીણ, ઝેરકોચલું, ધંતૂરો વગેરે ખાઈ જતા તુલસીના પાનનો રસ ગાયના ઘીમાં ભેળવીને પીવાથી આરામ થાય છે, ઘીનું પ્રમાણ અવસ્થા પ્રમાણે પાશેરથી અડધો શેર લઇ શકાય. એકવાર લેવાથી આરામ ન થાય તો વારંવાર આ તુલસી-ધૃત પીવડાવવું જોઈએ.
૨) તૃષા રોગ – ગળાના શોષ રોગમાં તુલસી અને લીંબુના રસમાં ખાંડ અને પાણી નાખી શરબતની જેમ પીવાથી લાભ થાય છે.
૩) દિવસમાં બે-ચાર વખત અને ખાસ કરીને ખાધા પછી અડધો કે કલાક પછી તુલસીના ચાર-પાંચ પાંદડા ચાવી લેવાથી મોઢામાંથી નીકળતી દુર્ગંધ દુર થાય છે.
૪) તુલસીપત્ર, હડિયાકર્સનના (હુરહુર) પાન, અંતરવેલ અને ઊંટની લીંડીઓ આ બધાને ગૌમૂત્રમાં વાટી અને ઉકાળીને વધી ગયેલા અંડકોષ પર જાડો લેપ કરવાથી લાભ થાય છે.
૫) છાતી, પેટ કે પીંડીઓ માં બળતરા થતી હોય તો તુલસીના પાન અને દેવદારનું લાકડું ઘસી ચંદનની જેમ લેપ કરવાથી ફાયદો થાય છે.
૬) ગળામાં દુખાવો થતો હોય તો તુલસીના પાનનો રસ મધની સાથે ચાટવાથી ફાયદો થાય છે.
૭) મરડો, ચૂક કે ઝાડા થયાની ફરિયાદ હોય તો તુલસીના સુકા પાન બે માશા અને સંચળ એક માશો, નવટાંક દહીંમાં ભેળવીને લેવાથી ફાયદો થાય છે.
૮) હરસ માટે તુલસીના મુળિયા તેમજ લીંબડાની લીંબોળીઓની મીંજ સરખા ભાગે લઇ વાટીને ચૂર્ણ બનાવવું, આમાંથી ત્રણ માશા દરરોજ છાસની સાથે લેવાથી લાભ થાય છે.
૯) પેટમાં પ્લીહોદર, બરોળ વધી ગઈ હોય તો તુલસીના મુળિયા નવસાર, ટંકનખાર (ફુલાવેલો ખાર) અને જવા ખાર સરખા ભાગે લઇ બરાબર વાટીને ચૂર્ણ બનાવો, પછી એમાંથી દરરોજ ત્રણ માશા તાજા પાણી સાથે સવારે લેવાથી આરામ થાય છે.
૧૦) શરીર પર પિત્તના વિકાસથી ફીકાસ આવી ગઈ હોય ત્યારે તુલસીના બીજ બે માશા, આંબળાના મુરબ્બા સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.
૧૧) ઠંડી લાગવાથી, શરદી થવાથી પાંસળીઓ દુઃખતી હોય તો તુલસીના પાનનો રસ છ માશા અને પુષ્કર મૂળનું ચૂર્ણ ત્રણ માશા ભેળવીને ગરમ કરી દુઃખતું હોય ત્યાં લેપ કરવો.
૧૨) વાળાના રોગમાં જ્યાં સોજો થયો હોય ત્યાં તુલસીના મુળિયાને ઘસી લેપ કરવો જોઈએ, આથી વાળાનો બે-ત્રણ ઇંચ લાંબો દોરો બહાર નીકળી આવશે, તેને બાંધી દઈ બીજે દિવસે ફરીથી એવી જ રીતે લેપ કરવો. આમ બે-ત્રણ દિવસમાં પૂરેપૂરો વાળો બહાર નીકળી આવશે અને કેટલાક વધુ વખત લેપ કરતા રેહવાથી ઘા બિલકુલ માટી જાય છે.
૧૩) વનતુલસીના પાન કોલેરા માં આશ્ચર્યકારક પ્રભાવ બતાવે છે, તેના પાનની સાથે કણજીના બીજની મીંજ, લીંબડાની છાલ, અધેડીના બીજ, લીમડાની ગળો અને ઇન્દ્રજવ આ બધા ને મેળવીને બે-ત્રણ તોલા પોણો શેર પાણીમાં ઉકાળો અને જયારે બળબળતા અડધું રહે ત્યારે બે-ત્રણ તોલા જેટલું થોડા થોડા અંતરે આપતા જાવ. આ પ્રયોગથી કોલેરાના કઠણ દર્દીઓ ના જીવ પણ લગભગ બચી જાય છે.
સંકલિત
(ગ.ગુજ.૧-૧૨/૪૯-૧૪)
સાભાર : સૌજન્ય : તુલસીના ચમત્કારિક ગુણ
====================================================
સ્નેહી શ્રી રાજેન્દ્રભાઈ અને ગીતાબેન,
આપ સપરિવાર ખુશી-મજામાં હશો.
આ સાથે તુલસી અંગેનો એક સરસ લેખ તમોને વાંચવા માટે મોકલું છું.
આ માહિતી જો ગમે તો એને તમારા તુલસી દલ બ્લોગમાં મૂકી
શકો એવું મારું નમ્ર સૂચન છે.
સસ્નેહ,
વિનોદભાઈ